ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવતાને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. જ્યાં એક દીકરી પોતાને સૌથી સુરક્ષિત અનુભવતી હોય છે, એ જ પિતાની હેવાનિયતથી એક 12 વર્ષની માસૂમ સગીરાનું બાળપણ કચડાઈ ગયું. જે પિતાએ દીકરીનું રક્ષણ કરવાનું હતું, તે જ પિતા નરાધમ બની પોતાની લોહીની સગીને હવસનો શિકાર બનાવી બેઠો.રોજીરોટીની શોધમાં અંકલેશ્વર આવેલા એક શ્રમિક પરિવારને ત્યાં કરૂણ અને સંબંધોને શર્મસાર કરતી ઘટના ઘટી છે. ભાડાના મકાનમાં રહેતા આ પરિવાર પર ત્યારે આભ ફાટ્યું જ્યારે તેમની 12 વર્ષની દીકરીએ 35 વર્ષના પિતાના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો. છેલ્લા કેટલાક સમયથી નરાધમ પિતા પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારતો હતો. ડર અને ધમકીના કારણે ચૂપ રહેલી આ માસૂમ કળી કરમાતી રહી, કારણે કે તેના પિતાએ કોઈને ન કહેવા ધમકી આપી હતી.આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. પરિવાર હોસ્પિટલ દોડી ગયો, પણ ત્યાં ડોક્ટરોએ જે ખુલાસો કર્યો તે સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. તપાસમાં બહાર આવ્યું કે માસૂમ સગીરા દોઢ માસની ગર્ભવતી છે. જ્યારે પરિવારે આઘાત સાથે પૂછપરછ કરી, ત્યારે સગીરાએ રડતા રડતા પિતાના હેવાનિયતની વાત કહી. જેના ખભા પર બેસીને દુનિયા જોવાની હોય, એ જ ખભાએ દીકરીની જિંદગીને નરક બનાવી દીધી છે.ઘટનાની ગંભીરતા જોતા અંકલેશ્વર GIDC પોલીસે ત્વરિત એક્શન લીધા છે. નરાધમ પિતા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ ભોગ બનનાર સગીરા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તે શારીરિક પીડાની સાથે માનસિક આઘાત સામે પણ લડી રહી છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો પિતા-પુત્રીના પવિત્ર સંબંધો પર કાયમ માટે કલંક લગાવી ગયો છે.




